RBI દ્રારા પોલિમર નોટો પર વિચારના સાથે જાણો પ્લાસ્ટિક ચલણ શું છે ? તેના ફાયદા શું છે
Photo Credit: AI Generated
પોલિમર નોટો કાગળના ચલણ કરતાં વધુ ટકાઉ માનવામાં આવે છે પોલિમર નોટો કાગળના ચલણ કરતાં વધુ ટકાઉ માનવામાં આવે છે
ભારતમાં ભવિષ્યમાં ચલણી નોટોના રૂપમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે . જુદા - જુદા મીડિયા રિપોર્ટ્સ મુજબ , રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( RBI ) ફરી એકવાર પોલિમર આધારિત નોટો રજૂ કરવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે . નોટોની વધતી માંગ , તેમનો ટકાઉપણું અને છાપકામના ખર્ચ જેવા મુદાઓને ધ્યાનમાં રાખીને આ વિકલ્પનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે . જોકે RBI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી . આવી સ્થિતિમાં પોલિમર નોટો શું છે અને તે હાલની કાગળની નોટોથી કેવી રીતે અલગ પડે છે તે જાણવું જરૂરી બને છે .
પોલિમર નોટો કાગળથી બનાવવામાં આવતી નથી . તે ખાસ પ્રકારની પ્લાસ્ટિક ફિલ્મ , જેને પોલિમર સબ્સ્ટ્રેટ કહેવામાં આવે છે , તેમાંથી તૈયાર કરવામાં આવે છે . આ સામગ્રી વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું માનવામાં આવે છે . વિશ્વના અનેક દેશો છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની નોટોનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે .
સામાન્ય કાગળની નોટો સતત ઉપયોગ , ભેજ અને વારંવાર વાળવાને કારણે ઝડપથી ઘસાઈ જાય છે અથવા ફાટી શકે છે . બીજી તરફ , પોલિમર નોટો પાણી અને ભેજ સામે વધુ પ્રતિરોધક હોય છે . તે સરળતાથી નુકસાન પામતી નથી અને લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકે છે . આ કારણે નવી નોટો છાપવાની જરૂરિયાત પણ ઘટી શકે છે .
પોલિમર નોટોમાં અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓ ઉમેરવી સરળ હોય છે . તેમાં પારદર્શક વિન્ડો , માઇક્રોપ્રિન્ટિગ અને અન્ય બીજા સુરક્ષા તત્વોનો સમાવેશ થાય છે . આવી સુવિધાઓને કારણે નકલી નોટો બનાવવી વધુ મુશ્કેલ બની જાય છે , જે ચલણની સુરક્ષા વધારવામાં મદદરૂપ થાય છે .
પોલિમર નોટો રજૂ કરનાર પહેલો દેશ તરીકે ઓસ્ટ્રેલિયાનું નામ લેવામાં આવે છે . ત્યારબાદ કેનેડા , ન્યુઝીલેન્ડ , બ્રુનેઈ , રોમાનિયા , વિયેતનામ અને પાપુઆ ન્યુ ગિની સહિત ઘણા દેશોએ આ ટેક્નોલોજી અપનાવી છે . હાલમાં અનેક દેશોમાં પોલિમર ચલણનો ઉપયોગ સામાન્ય બની ગયો છે .
ભારતમાં પોલિમર નોટોનો વિચાર નવો નથી . વર્ષ 2012માં કેદ્ર સરકારે પસંદ કરાયેલા કેટલાક શહેરોમાં 10 રૂપિયાની પોલિમર નોટોના પરીક્ષણને મંજૂરી આપી હતી . જોકે , તે સમયે આ પ્રયોગને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મુકવામાં આવ્યો નહોતો . હવે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે .
હાલમાં આ અંગે કોઈ પરિણામ પર પહોંચવું શક્ય નથી . મીડિયા રિપોર્ટ્સમાં પોલિમર નોટોને લઈને ચર્ચા અને સંભવિત પાયલોટ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે , પરંતુ RBI તરફથી કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી . જો ભવિષ્યમાં આ ટેક્નોલોજી અપનાવવામાં આવે , તો તે ભારતીય ચલણ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન સાબિત થઈ શકે છે .
પોલિમર નોટો અમલમાં આવે તો લોકોને વધુ મજબૂત , સ્વચ્છ અને લાંબા સમય સુધી ટકી રહેતી નોટો મળી શકે છે . સાથે જ નકલી નોટોની સમસ્યા ઘટાડવામાં પણ મદદ મળી શકે છે . જોકે , આ અંગેનો અંતિમ નિર્ણય RBI દ્રારા લેવામાં આવશે અને તેની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે .
જાહેરાત
જાહેરાત