દુબઈ સ્થિત ટેલિગ્રામે કોર્ટને જણાવ્યું કે તેણે લીક થયેલા NEET પ્રશ્નપત્ર સાથે જોડાયેલી 900થી વધુ લિંક્સ ડિલીટ કરી દીધી છે
Photo Credit: Unsplash/Eyetetix Studio
21 જૂને યોજાનારી NEET ની પુનઃપરીક્ષા પહેલા સરકારે આ પ્રતિબંધ લાદ્યો છે .
ભારતમાં ટેલિગ્રામે કેન્દ્ર સરકાર દ્રારા લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધમાંથી કોઈ રાહત મળી નથી . દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે NEET પુનઃ પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી . કોર્ટે કહ્યું છે કે સરકાર દ્રારા લેવામાં આવેલા નિર્ણય કાયદા મુજબ છે અને તેમાં કોઈ ખામી જોવા મળતી નથી . કોર્ટના જજ તેજસ કરિયાએ માહિતી ટેક્નોલોજી અધિનિયમની કલમ 69A હેઠળ સરકારને મળેલી સત્તાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય હિત અથવા જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકાર જરૂર પડ્યે કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મને બ્લોક કરી શકે છે . કોર્ટે સરકાર દ્રારા અનુસરવામાં આવેલી પ્રક્રિયાને પણ યોગ્ય ગણાવી હતી .
ટેલિગ્રામે કોર્ટમાં દલીલ કરી હતી કે પ્રતિબંધ લાદવા માટે સરકારે પૂરતા અને સ્પષ્ટ કારણો રજૂ કર્યા નથી . જોકે , કોર્ટે આ દલીલને સ્વીકારી નહોતી . કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 21 જૂને યોજાનારી NEET પુનઃ પરીક્ષા પહેલા લીક થયેલા પ્રશ્નપત્રો અને પરીક્ષા સંબંધિત સામગ્રીના ફેલાવાને રોકવા માટે આ પગલું જરૂરી હતું .
ટેલિગ્રામે પોતાની તરફથી દાવો કર્યો હતો કે કંપનીએ ગેરકાયદેસર સામગ્રી કે ડેટા સામે કડક કાર્યવાહી કરી છે . કંપનીએ કોર્ટને જાણ કરી હતી કે NEET પ્રશ્નપત્ર લીક સાથે જોડાયેલી 900 થી વધુ લિંક્સ દૂર કરવામાં આવી છે . આ ઉપરાંત , આવા ડેટાને ઓળખવા અને ઝડપથી હટાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( AI ) અને મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .
કોર્ટે કહ્યું છે કે આ પ્રતિબંધ કાયમી નથી , પરંતુ માત્ર થોડા સમય માટેનો છે . સરકાર દ્રારા 22 જૂન સુધી ટેલિગ્રામની ઍક્સેસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . પહેલાની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ટેલિગ્રામની બોટ સિસ્ટમ દ્રારા મોટી સંખ્યામાં મેસેજીસને ઝડપથી ફેલાવી શકાય છે , જેના કારણે તેની અસરકારક દેખરેખ રાખવી મુશ્કેલ બને છે .
ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયે 16 જૂને આ કામચલાઉ પ્રતિબંધ લાગુ કર્યો હતો . મંત્રાલયનો દાવો હતો કે ટેલિગ્રામનો ઉપયોગ લીક થયેલા NEET પ્રશ્નપત્રો અને સંબંધિત માહિતીના પ્રસાર માટે કરવામાં આવી રહ્યો હતો . આ કારણસર પરીક્ષાની નિષ્પક્ષતા જાળવવા માટે સરકારે આ પગલું ભર્યું હતું .
જાહેરાત
જાહેરાત