સરકારને શંકા છે કે યુઝરનેમનો ઉપયોગ, છેતરપિંડી કરનારાઓ માટે યુઝર્સનો સંપર્ક કરવો સરળ બનાવશે
ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મને યુઝરનેમ સુવિધા અંગે નોટિસ જાહેર કરવામાં આવી છે .
ભારત સરકારે હવે એવા મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર વધુ નજર રાખી રહી છે , જે યુઝર્સને મોબાઈલ નંબરના બદલે યુઝરનેમ દ્રારા વાતચીત કરવાની સુવિધા આપે છે . આ મુદ્દે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે Telegram અને Signal ને નોટિસ મોકલીને અનેક મહત્વના સવાલો પૂછ્યા છે . તાજેતરમાં WhatsApp ના યુઝરનેમ ફીચરને લઈને પણ સરકારે સાવચેતી ભર્યા પ્રતિસાદ અપનાવ્યો હતો .
મીડિયા અહેવાલો મુજબ , સરકારે Telegram અને Signalને પૂછ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ યુઝરનેમ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે તેઓ ક્યા સુરક્ષા ઉપાયો અમલમાં મૂકી રહ્યા છે . ખાસ કરીને Telegram પાસે સરકારે સ્પષ્ટતા માંગી છે કે યુઝરનેમ આધારિત ફીચરને ચાલુ રાખવાની મંજૂરી શા માટે આપવામાં આવે .
આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન છેતરપિંડી અને નકલી ઓળખનો વધતો ખતરો છે . થોડા જ સમય પહેલા NEET પરીક્ષાના પ્રશ્નપત્ર લીક મામલે Telegram નું નામ સામે આવ્યા બાદ સરકારે પરીક્ષા પહેલા થોડા સમય માટે તેના પર પ્રતિબંધ પણ મોક્યો હતો . આ ઘટનાએ આવા પ્લેટફોર્મની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા .
આ અઠવાડિયાની શરૂઆતમાં સરકારે WhatsApp ની માલિકી ધરાવતી Meta એ પણ યુઝરનેમ ફીચર અંગે નોટિસ આપી હતી . સરકારે ચિંતા વ્યક્ત કરી હતી કે જો મોબાઈલ નંબર જાહેર કર્યા વગર માત્ર યુઝરનેમથી સંપર્ક કરવાની સુવિધા મળશે , તો ઓનલાઈન ફ્રોડ , ડિજિટલ અરેસ્ટ જેવી છેતરપિંડી અને નકલી ઓળખના બનાવોમાં વધારો થઈ શકે છે . જ્યાં સુધી ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ફીચર લોન્ચ ન કરવા પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે .
સરકારનું માનવું છે કે અજાણી ઓળખથી સંપર્ક કરવો સરળ બનવાથી સાયબર ગુનેગારોને ફાયદો મળી શકે છે અને તપાસ એજન્સીઓ માટે આરોપીઓ સુધી પહોંચવું વધુ મુશ્કેલ બની શકે છે . બીજી તરફ WhatsAppનું કહેવું છે કે યુઝરનેમ ફીચર સાથે પણ સ્કેમ અને નકલી એકાઉન્ટ સામે અસરકારક સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે . ભારત WhatsApp માટે સૌથી મોટું બજાર છે જ્યાં 50 કરોડથી વધુ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે .
જાહેરાત
જાહેરાત